Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
Home >> Gujarat Business >> 35,000 Crore In The Metro Suratio Concerts!
૩પ,૦૦૦ કરોડની મેટ્રોમાં સુરતીઓ કરશે જલસા!
Business Desk
| Jul 23, 2012, 18:00PM IST

સુરતમાં મેટ્રોટ્રેનના પ્રોજેક્ટમાં આશરે ૩પ,૦૦૦ કરોડનો ખર્ચ થવાના અંદાજ સાથે મહાનગરપાલિકાએ પ્રારંભિક તબક્કામાં ૧૦૦ કિલોમીટર લાંબા ચાર રૂટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવાની દરખાસ્તને આજે સૈદ્ધાંતિક રીતે મંજુરી આપી દીધી હતી. આ ફિઝિબિલીટી રિપોર્ટમાં મેટ્રો પ્રોજેકટ માટે નાણાકીય સ્ત્રોત કેવી રીતે ઉભા કરવા અને તે માટે વધારે આવક કેવી રીતે મેળવી શકાય તે તમામ પાસાને પણ આવરી લેવાશે.
સ્થાયી ચેરમેને જણાવ્યું કે પ્રથમ ચાર રૂટ માટે શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવાનું નક્કી થયું છે. તેમાં (૧) ડુમસ-રિર્સોટથી સરથાણા કેનાલ કોરિડોર (૨) સાયણ-સુરત (૩) ડુમસ-કામરેજ (૪) આઉટર રિંગરોડ માટેના રૂટ માટે ફિઝીબલીટી રિપોર્ટ તૈયાર કરાશે. આ ફિઝિબિલીટી રિપોર્ટ તૈયાર કરાવવા ૧ કરોડ મંજૂર કરાયા છે.
નવસારી, બારડોલી સુરતથી જોડાશે
સુરત મનપાના સિટી એન્જિનિયર જતીન શાહે જણાવ્યુંકે ફિઝિબિલીટી રિપોર્ટમાં આ તમામ પાસાને આવરી લેવાશે. બારડોલી અને નવસારીને સુરત સાથે કનેકટીવીટી આપવી. નવસારી- સુરત ટવીન સિટીની દરખાસ્ત સાકાર કરવા મેટ્રો ટ્રેન ઉપયોગી નિવડશે તેવો રાજય સરકારનો વિચાર છે. તેમાં બારડોલી- સુરત રેલવે સ્ટેશન અને એરપોર્ટને કનેકટીવીટી આપવા તરફ પણ વિચારણા હાથ ધરાઇ શકે છે.
હાલમાં સુરત શહેરમાં મિલકતોના ભાવ આસમાન પર છે, ત્યારે ભવિષ્યમાં નવસારી અને બારડોલીના લોકોને રેલવે સ્ટેશન અને એરપોર્ટની કનેકટીવીટી મળે તે માટે પણ આ પ્રોજેક્ટ વાયેબલ છે કે નહીં તેની ચકાસણી કરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ મામલે સ્થાયી સમિતિ ચેરમેન ભીમજી પટેલે કાંઇ પણ કહેવા ઇનકાર કર્યો હતો.
રિપોર્ટમાં કઇ બાબતો આવરી લેવાશે
મેટ્રોરેલ વાસ્તવમાં નાણાંકીય રીતે લેખે લાગશે કે નહીં , તેમાંથી મનપાને આવક ઉપરાંત લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનની સગવડ મળશે કે નહીં જંગી નાણાંકીય ભંડોળ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક, જાયકા પાસેથી કેટલું ફંડ મળી શકે છે તેની તમામ વિગત કન્સલટન્ટે જણાવવાની રહેશે.
આ પ્રોજેક્ટમાં પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપની શકયતાની પણ ચકાસણી કરાશે. મેટ્રોરેલને અંડર ગ્રાઉન્ડ દોડશે, કે ગ્રાઉન્ડ પર દોડશે કે પછી એલીવેટેડ મેટ્રોની પણ જરૂર પડશે તેની પણ શકયતા ચકાસવાની રહેશે. સુરત મહાપાલિકાને વાસ્તવમાં કેટલી આવક થશે, તેનો અંદાજ આપવો પડશે
... તો આ રૂટ પર દોડશે મેટ્રો
ડુમસ-રિર્સોટથી સરથાણા કેનાલ કોરિડોર, સાયણ-સુરત, ડુમસ-કામરેજ, આઉટર રિંગરોડ માટેના રૂટ માટે ફિઝીબલીટી રિપોર્ટ તૈયાર કરાશે. સુરતને નવસારી અને બારડોલી જેવા એનઆરઆઈ તાલુકા સાથે કનેક્ટિવીટી આપવા માટે રાજ્ય સરાકાર ગંભીરતાથી વિચારી રહી છે.







