Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
ગુજરાતમાં રેમિટન્સ પ્રવાહ, ભરણપોષણ નહિ, વિકાસ માટે
Birju Shah, Ahmedabad | Oct 04, 2010, 00:14AM IST

૨૦૦૮માં અમેરિકાની મંદીને કારણે અને ત્યારબાદ દુબઈ ક્રાઇસિસ ઊભી થયા બાદ શરૂઆતના તબક્કામાં વિદેશમાંથી ભારતમાં નાણાં મોકલવાના પ્રવાહમાં ઓટ આવી હતી, પરંતુ અમેરિકા અને ત્યારબાદ યુરોપમાં ખાસ કરીને બ્રિટનમાં મંદી થાળે નહિ પડતાં ત્યાંના એનઆરઆઈએ ભારતમાં નાણાં મોકલવાનું શરૂ કર્યું છે.
વિદેશની કમાણી વિદેશમાં સમાણીનું વાક્ય હાલ બદલાઈને વિદેશની કમાણી ભારતમાં સમાણી એવો ટ્રેન્ડ છે એમ કોટક બેન્કના બેન્કિંગ હેડ વિરાટ દીવાનજી જણાવે છે. આજકાલ આ પ્રવાહ ખાસ્સી માત્રામાં વધી ગયો છે. એક અંદાજ મુજબ ગયા વર્ષની સમાન ગાળાની સરખામણીએ તેમાં ૨૫ ટકા જેવો વધારો થયો છે.
આપણા દેશમાં રેમિટન્સનાં નાણાંનો મુખ્ય પ્રવાહ મુખ્યત્વે અખાતના દેશોમાંથી આવતો હતો. કેરળ કે અન્ય રાજ્યમાંથી કમાવા જનારા ભારતમાં રહેતા તેમના ઘરના-સગાંને ભરણપોષણ માટે નાણાં મોકલી આપતા.
ગુજરાતમાંથી વિદેશમાં જનારા એ દેશમાં વસી જતા અને ગામમાં પોતાનું એક મકાન બંધાવી રાખતા. વધુમાં વધુ એક ખેતર માટેની જમીન ખરીદી લેતા. બેન્કિંગ સૂત્રોના કહેવા પ્રમાણે આમાં છેલ્લાં બે વર્ષમાં બદલાવ આવ્યો છે. હવે ગુજરાતમાં રહેનારા અને વિદેશમાં સ્થાયી થયેલાનાં નાણાં રોકાણ માટે આવી રહ્યાં છે, આને કારણે પણ ગુજરાતના વિકાસને વેગ મળ્યો છે.
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં પ્રોપર્ટી માર્કેટમાં દેશના અન્ય ભાગ કરતાં વધુ વળતર મળવા પાછળ પણ આ એક કારણ ગણાવાઈ રહ્યું છે. અમેરિકામાં લેહમેન બ્રધર્સ ફડચામાં જવાની ઘટના બાદ હજી પણ સ્થિતિ ૨૦૦૮ પહેલાંની સરખામણીએ આવી નથી. અમેરિકાના રેલા યુરોપ અને બ્રિટન સુધી પહોંચ્યા છે.
અમેરિકામાં પ્રોપર્ટીના ભાવ અડધાથી અડધા થઈ જવા એપ્રિસિયેશન મળશે કે કેમ તેની ગેરન્ટી નથી, આને કારણે ત્યાં વસેલા એનઆરઆઈને નાછુટકે પોતાનાં વતનમાં નજર દોડાવવી પડી છે. ૨૦૦૭-૦૮ની સરખામણીે ૨૦૦૮-૦૯માં ખાસ વૃદ્ધિ થઈ નહોતી પણ ૨૦૦૯-૧૦માં આમાં આશરે ૨૫ ટકાનો ઉછાળો આવ્યો હોવાનું બેન્કિંગ સૂત્રો જણાવે છે. એવો વિશ્વાસ મૂકવામાં આવે છે કે પૂરાં થયેલાં નાણાકીય વર્ષ દરમિયાન આ આંકડો ૫૦ અબજ ડોલરને વટાવી જવાની સંભાવના છે.
એવું માનવામાં આવે છે કે ગલ્ફમાંથી આવતાં નાણાં મુખ્યત્વે ભરણપોષણ માટે આવે છે અને અમેરિકા કે બ્રિટનમાંથી આવતાં નાણાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવે છે. કેરળ કે આન્ધ્રપ્રદેશ જેવાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો અખાતમાં નોકરી કરતાં હોય છે અને તે વર્ગ ભરણપોષણ માટે નાણાં માકલે છે જ્યારે ગુજરાત જેવાં રાજ્યોની વાત જ કંઈક અલગ છે.
અહીં ઘરની કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને વસી ગઈ હોય તો પણ તેના પર નિર્ભરતા ઓછી હોય છે. ત્યાં જનાર વ્યક્તિ પાછળથી પોતાનાં અન્ય સગાંઓને ત્યાં બોલાવી લે છે, આને કારણે ગુજરાતમાં રેમિટન્સથી આવતાં નાણાં રોકાણમાં વળી જાય છે એમ દીવાનજી વધુમાં ઉમેરે છે.
હવે આફ્રિકાના એનઆરઆઈ પર નજર
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વર્ષો પહેલાં ઓફ્રિકામાં વસેલાં હતાં. આજે તેમની બીજી- ત્રીજી પેઢી ત્યાં ખાસ્સી વગદાર સ્થિતિમાં જોવા મળે છે, આને કારણે સ્થાનિક બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની નજર આફ્રિકા તરફ મંડાઈ છે અને ત્યાંથી રેમિટન્સનાં કામકાજમાં વૃદ્ધિ થવાની અપેક્ષા રાખે છે.
એક ટોચના બેન્કરના જણાવ્યા પ્રમાણે એક તરફ આફ્રિકામાં રોકાણની તક છે તો ભારત તેના કરતાં વધુ ઝડપથી વિકસતો દેશ છે અને જો ત્યાંથી ભારતમાં રેમિટન્સથી નાણાં ભારતમાં વસતા તેનાં સગાંઓ દ્વારા લાવવામાં આવે તો મોટી સંખ્યામાં તે આવી શકે છે, જોકે અમેરિકા, બ્રિટન કરતાં અહીં મહેનત વધુ અને એટલી સરળતાથી નાણાં આવે તેમ નથી એમ આ બેન્કરો ખુદ માને છે.







