Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
રેમિટન્સ મારફત રૂ. ૩૦૦૦ કરોડ ઠલવાયા
Bhaskar News, Ahmedabad | Nov 22, 2011, 05:29AM IST

અમેરિકન ડોલર સામે ભારતીય ડોલરની સતત મજબૂતાઇના કારણે ૧૯૦ જેટલા દેશોમાં વસતા ૨.૭ કરોડ ભારતીયો દ્વારા દેશમાં ઠલવાતા નાણાંના પ્રવાહમાં નવેમ્બર માસમાં આશરે ૨૨ ટકાનો વધારો થયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ભારતીય રૂપિયા સામે ડોલર સપ્ટેમ્બરમાં રૂ.૪૫-૪૭ની રેન્જમાં રમતો હતો. પરંતુ માત્ર બે જ માસના ગાળામાં રૂ. ૪-૬ સુધી વધીને ડોલર રૂ. ૫૧-૫૨ વચ્ચે રમતો થઇ જતાં વિદેશ ગયેલા ભારતીયો ડોલરમાં મળેલા પગારના નાણાં વતનમાં મોકલીને પોતાની કમાણીને વધુ સમૃદ્ધ કરવાનો મોકો ઉઠાવી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં ભારતમાં રેમિટન્સથી આવતા પ્રવાહમાં લગભગ ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાનું બેન્કિંગસૂત્રોનું માનવું છે. ગુજરાત, કેરળ, પંજાબ રેમિટન્સની આવક ધરાવતાં મુખ્ય રાજ્યો છે. ડોલર મૂલ્યમાં પગાર મેળવતા ભારતીયને ડોલર દીઠ રૂ. ૫૨ આસપાસ મળી રહ્યા છે. તે જોતાં તેને ૧૦૦૦ ડોલરે સીધા રૂ. ૪૦૦૦ વધારે મળી રહ્યા હોવાથી સપ્ટેમ્બરમાં રેમિટન્સનું પ્રમાણ ૨૦ ટકા વધી રૂ. ૩૦૦૦ કરોડનું થયું હોવાનું બેન્કોએ જણાવ્યું છે.
વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીયો દ્વારા ખોલાવાતા એફસીએનઆર માં પણ વાર્ષિક તગડું રિટર્ન છુટી રહ્યું હોવાથી તેમાં પણ ૯ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરને અંતે એનઆરઓ ડિપોઝીટ રૂપિયા ૫૫૬ અબજે રહી હતી જ્યારે વર્ષનાં પ્રારંભથી સપ્ટેમ્બર સુધીમાં એનઆરઆઈ ડિપોઝીટ રૂ. ૨૬૦૦ અબજ રહી હતી.
ડોલર કોને ફળ્યો કોને નડ્યો
ફળ્યો
કમાણી માટે ગયેલાને
નિકાસકાર કંપનીઓ
એફસીએનઆર ડિપોઝીટને
નડ્યો
વિદેશ પ્રવાસે જતાં , શોપિંગ માટે વિદેશ જનારા વગેરેને શિક્ષણ મેળવતા અને આયાત-કાર કંપનીઓને
વિદેશથી દેશ તરફ વળેલો નાણાપ્રવાહ
સુરતથી અબુધાબી ગયો ત્યારે કલ્પના પણ નહોતી કે બે ચલણો વચ્ચેના ગેપથી બાર માસમાં તેર માસનો પગાર મળે તેટલો ફાયદો થશે. અબુધાબીથી પગારની રકમ ડોલરમાં રૂપિયા ભારત ટ્રાન્સફર કરતાં મહિને રૂ. ૧૬૦૦૦નો ફાયદો થઇ રહ્યો છે. તે જોતાં વર્ષે એક પગાર આરામથી નીકળી જાય છે.
જયેશ દેસાઇ, હાલ અબુધાબી (મૂળ સુરત)
બે મહિના અગાઉ રવાન્ડાથી મહિને ૧૦૦૦ ડોલર મોકલતો હતો. ત્યારે ડોલરદીઠ રૂ. ૪૭ જમા થતાં હતા. હવે રૂ. ૫૧ આસપાસ જમા થાય છે. તે જોતાં મને મહિને રૂ. ૪૦૦૦નો ફાયદો થઇ રહ્યો છે. છેલ્લાં છ માસમાં ડોલર સામે રૂપિયાની નબળાઈ અમારા માટે ફાયદાકારક રહી
-નિમેષ મહેતા, રવાન્ડા. (મૂળ અમદાવાદ)
નિકાસકારો પાસે ડિસ્કાઉન્ટ માગતા વિદેશી ગ્રાહકો
નબળો પડી રહેલો રૂપિયો નિકાસકારોનો નફો તગડો કરી રહ્યો છે. પરંતુ નિકાસકારોના નફામાં હવે વિદેશી આયાતકારોએ યેનકેન પ્રકારેણ ૫-૧૦ ટકા ડિસ્કાઉન્ટ માગવાનું ચાલુ કરી દીધું છે. આયાતકારો વૈશ્વિક મંદીની દુહાઇ આપીને કે ઉત્પાદનમાં ખામી હોવાના બહાના હેઠળ ભારતીય નિકાસકારો ઉપર ૫-૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું પ્રેશર વધારી રહ્યા છે.







