રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં ઇથિલિન ક્રેકર પ્રોજેક્ટ બનાવશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની જામનગર રિફાઇનરી ખાતે રિફાઇનરી ઓફ-ગેસ ક્રેકર (આરઓજીસી) માટે ટેકનોલોજી સપ્લાય અને એન્જિનીયરિંગ કામ માટેનો કોન્ટ્રાક્ટ ફ્રેન્ચ કંપની ટેકનિપને આપ્યો છે.
કંપનીએ તેની એક યાદીમાં જણાવ્યું હતું કે ટેકનિપને આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ જામનગર રિફાઇનીંગ અને પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ ખાતે ચાલી રહેલા વિસ્તરણ પ્રોજેક્ટનો એક ભાગ છે. આરઓજીસી પ્લાન્ટ દુનિયાના સૌથી મોટા ઇથિલીન ક્રેકર્સમાંથી એક હશે અને તે ફીડસ્ટોક તરીકે રિફાઇનરીના ઓફ-ગેસનો ઉપયોગ કરશે. પ્લાન્ટમાં બનેલી પ્રોડક્ટોનો ઉપયોગ જામનગર ખાતે બની રહેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ માટે કરવામાં આવશે.
રિફાઇનરી ઓફ-ગેસ ક્રેકર એક પેટ્રોકેમિકલ યુનિટ છે, જે રિફાનિંગની કામગીરીમાંથી ઉપપેદાશ તરીકે પેદા કરાયેલા ગેસનો ઉપયોગ કરશે.
પેરિસ સ્થિત ટેકનિપ 48 દેશોમાં પોતાની હાજરી ધરાવે છે અને તેની 90 ટકા આવકો ઓઇલ અને ગેસ ફિલ્ડમાંથી મેળવે છે.








