ગુજરાતની કંપનીઓમાં કહીં ખુશી કહીં ગમ
અદાણી ગ્રૂપના શેરોમાં આંચકો તો અન્ય મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં મિશ્ર ટ્રેન્ડ
ગુજરાતનાં પરિણામ બાદ રાજ્યની ટોચની મોટી, મધ્યમ અને નાની કંપનીઓના શેરના ભાવમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. પ્રથમ ચરણના મતદાન બાદ શેરોના ભાવ ઘટયા હતા તો બીજા ચરણના મતદાન બાદ તેનાથી વિરુદ્ધ ભાવ વધ્યા હતા પરંતુ પરિણામને પગલે આ બન્ને કરતાં ફરી એકવાર અલગ ટ્રેન્ડ અને તે મિશ્ર જોવાયો હતો.
અદાણી ગ્રૂપના શેરોને બાદ કરતાં મોટા ભાગના શેરોમાં મર્યાદિત વધઘટ જોવાઈ હતી. ચૂંટણી પરિણામ પછી અદાણી ગ્રૂપના શેરોમાં આવેલ નરમાઈના આંચકાથી માર્કેટના વર્ગમાં પણ આશ્ચર્ય જોવાયું હતું. ગુજરાતની ૩૦ કંપનીઓના શેરોના ભાવ ઉપર નજર નાંખતા ૧૨ શેરોમાં એક ટકાથી ઓછી વધઘટ હતી તો માત્ર ૩ શેરોમાં બે ટકાથી વધુ ભાવ ફરક જોવાયો હતો. દરમિયાન ગુજરાતની ચૂટંણીના મતદાનથી લઈને પરિણામની જાહેરાતના ત્રણ દિવસમાં બેન્ચમાર્કમાં નિરૂત્સાહ હોય તેમ આ દિવસોમાં તેમાં નરમાઈ જોવાઈ હતી.
પરિણામ બાદ અદાણી ગ્રૂપના શેરોના ભાવ તૂટવા પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ અને હવે પછી ગ્રૂપના નવા ડેવલોપમેન્ટ કેવા છે તેની ઉપર નજર હતી. પરિણામ પૂર્વેના દિવસે ગ્રૂપના શેરોમાં છ ટકા સુધીનો ઉછાળો હતો તે આજે ઘટાડામાં ફેરવાયો હતો. અદાણી એન્ટ. સૌથી વધુ ૭ ટકા તૂટયો હતો.
અદાણી પોર્ટ ૩.૬૨ ટકા અને અદાણી પાવર ૪.૪૬ ટકા ઘટયા હતા. જીયોજીત સિક્યો.ના ગૌરાંગ શાહનું કહેવું હતું કે ગુજરાતની કંપનીઓ માટે અને ઇકોનોમી માટે સ્થિર સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદીનું ફરી સત્તા પર આવવું એ સકારાત્મક કારણ સ્થાનિક કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝ માટે બનશે.
નવા રોકાણને પ્રોત્સાહન : CII
ગુજરાતમાં સ્થિર સરકારને કારણે નવા રોકાણને પ્રોત્સાહન મળશે. દેશના અને ગુજરાતના આર્થિક વિકાસમાં સ્થિર સરકાર મદદરૂપ બનશે એમ સીઆઈઆઈના પ્રેસિડેન્ટ અદી ગોદરેજે જણાવ્યું હતું. સીઆઈઆઈ ગુજરાતના ચેરમેને જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ અને વૃદ્ધિને આને કારણે નવી દિશા મળશે. સીઆઈઆઈ સરકાર સાથે સતત તે માટે પ્રયત્નશીલ રહેશે.
૧૨ કંપનીઓમાં ૧ ટકાથી ઓછી વધઘટ
૨ કંપનીઓમાં પ ટકાથી વધુ સુધારો
૨ કંપનીઓમાં ૪ ટકાથી વધુ ઘટાડો
૪ કંપનીઓમાં +/- ૨ ટકાથી વધુ ફેરફાર







