Advertisement
Home >> Ur Que/Our Ans >> Siddharth Dave Rokan Karo Ni Munjavan

શેર મૂલ્ય ઘટવા છતાં ભાવમાં વધારો કઈ રીતે શક્ય બની શકે?

Siddharth Dave | Jun 13, 2011, 00:10AM IST
 
 

સવાલ : મારી પાસે એક કંપનીના શેર છે, જેના શેરની વેલ્યુ રૂ. ૧૦થી ઘટાડીને રૂ. ૨ની કરવામાં આવી છે. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે આ શેરના ભાવ જે રૂ. ૧૬ હતાં તે ઘટવાને બદલે વધીને રૂ. ૨૦ થયા છે. આમ કેમ બન્યું હશે? મોટા ભાગના કિસ્સામાં કંપની નફો કરતી હોવા છતાં પણ રૂ. ૧૦ના શેરનું રૂ. ૨ના શેરમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે તે શેરના બજાર ભાવ પણ તે પ્રમાણે ઘટી જતા હોય છે. પરંતુ આ કંપની તો હજી ખોટ કરે છે, તો આમ કેમ બન્યુ હશે? તે જણાવવા વિનંતી. - રવજીભાઈ એમ. સાવલા, વિલે પાર્લે

જવાબ : શેર વેલ્યુ બે પ્રકારે ઘટાડવામાં આવતી હોય છે. એક તો કંપની બજારમાં તેની પ્રવાહિતા વધારવા જાતે જ તેના શેરોનીરોષ વેલ્યુ ઘટાડે છે. જ્યારે અમુક કંપનીઓની કામગીરી કથળતા અને તેની ખોટ નેટવર્થ કરતાં પણ વધી જતાં તેને અમુક કેપિટલ માંડવાળ કરવાની ફરજ પાડવામાં આવે છે. જે કંપનીઓ શેરનું મૂલ્ય ઘટાડે છે તેની ઈક્વિટી વધતી કે ઘટતી નથી પરંતુ શેરનું માત્ર વિભાજન થાય છે. આનાથી બજારમાં શેરોની પ્રવાહિતા વધે છે અને ભાવ પણ પ્રમાણાનુસાર નીચા આવવાથી વધુ નાના રોકાણકારો તે શેર ખરીદી શકે છે.

આમાં શેરધારકોને કોઈ નુકસાન થતું નથી. જે કંપનીઓની કામગીરી ખરાબ રહેવાને કારણે કે તેની મૂડીના રસ્ટિ્રકચરીગના એક ભાગરૂપે કંપનીની મૂડી જ માંડવાળ કરી નાખવામાં આવતી હોય તો તં કંપનીના તેટલા પ્રમાણમાં શેરો જ નાશ પામે છે. આમાં શેરધારકોની તેટલી મૂડીનું જ ધોવાણ થઈ જાય છે. શેર વિભાજનના કિસ્સામાં ઈક્વિટી મૂડી તેટલી ને તેટલી જ રહે છે સામે શેરની સંખ્યા વધી જાય છે, આથી તેટલા પ્રમાણમાં શેરની વેલ્યુ ઘટી જાય છે. પરંતુ શેરની સંખ્યા વધી જવાથી તેમના એકંદર મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, જ્યારે મૂડી માંડવાળ કરવામાં આવી હોય તેવા કિસ્સામાં શેરધારકોની મૂડીનું ધોવાણ થાય છે અને તેમના શેરનું મૂલ્ય પણ ઘટી જાય છે. પરંતુ આવા કિસ્સામાં કંપનીની એકંદર મૂડી ઘટી જવાથી શેરદીઠ વેલ્યુ તેટલીને તેટલી જ રહે છે.

ઉદાહરણ તરીકે પ્રથમ કિસ્સામાં જો કોઈ કંપનીની ઈક્વિટી કેપિટલ રૂ. ૫૦ કરોડ હોય અને તેના રૂ. ૧૦૦ના શેરનું રૂ. ૧ના શેરમાં વિભાજન કરવામાં આવે તો તેની મૂડી રૂ. ૫૦ કરોડ જ રહેશે અને શેરધારકોને તેના રૂ. ૧૦૦ શેર સામે રૂ. ૧ના એક હજાર શેર મળશે. વિભાજન પૂર્વે આ શેરનો ભાવ રૂ. ૨૦૦ હોય તો વિભાજન બાદ આ શેરનો બજાર ભાવ રૂ. ૨૦ થઈ જશે અને આથી તેની કુલ ૧૦૦૦ શેરની વેલ્યુ રૂ. ૨૦૦૦૦ જ રહેશે. પરંતુ મૂડી ધોવાણના કિસ્સામાં આ શેરની વેલ્યુ ઘટીને રૂ. ૧ની થશે તેની સામે તેને વધારાના કોઈ શેર મળશે નહીં પરંતુ સામે કંપનીની મૂડી પણ રૂ. ૫૦ કરોડથી ઘટીને રૂ. ૫ કરોડ થઈ જશે. આથી મૂડી ઘટાડતા પહેલા આ શેરના બજાર ભાવ હતાં તેટલા જ બજાર ભાવ મૂડી ધોવાણ પછી પણ બોલાતા રહેશે.

સવાલ : મારે મારા પ્રોવિડંડ ફંડના મળેલા નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે. મારા એજન્ટે મને મૂડીની સુરક્ષાની ખાતરી જોઈતી હોય તો કેપિટલ પ્રોટેકશન ફંડમાં રોકાણ કરવા જણાવ્યું છે તો આ કેપિટલ પ્રોટેકશન ફંડ શું છે? - પ્રકાશ ગજરા, નવી મુંબઈ

જવાબ : અમુક મ્યુચ્યુઅલ ફંડોએ આવી કેપિટલ પ્રોટેકશન ઓરીએન્ટેડ ફંડ યોજના શરૂ કરી છે જેમાં આ એક કલોઝ એન્ડેડ ડેટ ફંડ સિવાય કશું જ નથી. આવી યોજના ખાસ કરીને ઓછુ જોખમ લેવા માંગતા અને મૂડીને સુરક્ષિત રાખવા ઈચ્છતા રોકાણકારો માટે તૈયાર કરવામાં આવે છે. આ યોજનામાં મહત્તમ લગભગ ૮૦ ટકા જેટલું ભંડોળ એએએ (ટ્રીપલ એ) જેવું ઉચ્ચ રેટિંગ ધરાવતા કંપનીઓના ઋણ સાધનમાં રોકવામાં આવે છે.

જ્યારે બાકીનું ૨૦ ટકા રોકાણ જ ઈક્વિટી જેવા જોખમી સાધનમાં રોકવામાં આવે છે, જેથી રોકાણની સુરક્ષાની ખાતરી પણ મળી રહે છે અને સાથે સાથે પ્રવર્તમાન બજાર ભાવ કરતાં સહેજ વધુ વળતર પણ રોકાણકારોને પ્રાપ્ત થઈ શકે છે. આ સામાન્યપણે કલોઝ એન્ડેડ યોજના હોય છે, જેમાં ભંડોળનું જે ઋણ સાધનમાં રોકાણ કરવામાં આવે છે તેની મુદત પણ આ યોજના પુર્ણ થવાની હોય તેની આસપાસની જ હોય છે. જેથી આમાં વચ્ચેથી રીડમ્પશનનું દબાણ રહેતું નથી અને ડેટ સાધનોમાં રોકાણ છતા રોકાણકારોને સુરક્ષા અને સારા વળતર બન્નેની ખાતરી મળી રહે છે.

-રોકાણકારોની મૂંઝવણ, સિદ્ધાર્થ દવે
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 5

 
Ad Link
Advertisement

Market

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment